Sannyasi Rebellion - સન્યાસી વિદ્રોહ - 1763-Part-1

Sannyasi Rebellion - સંન્યાસી વિદ્રોહ

સંન્યાસી વિદ્રોહ કે ખેડુત વિદ્રોહ

ભાગ ૧

બ્રિટિશરોએ અનેક કાવા-દાવા, છળ-કપટથી ભારત પર અધિકાર જમાવ્યુ અને તેને સમયાંતરે લૂંટ ચલાવી તબાહ કર્યુ. તો શું ભારતની શુરવીર પ્રજા આ લૂંટ ચુપચાપ જોતી રહી? ભારતના લોકોએ અનેક વાર વિદ્રોહ કરી અંગ્રેજ લુંટારાઓ, તેમના સાગરીતો, ચાપલૂસ જમીનદારો, શાહુકારો સામે અવાજ ઉઠાવી તેમને ભગાડવાના સફળ અને અસફણ પ્રયત્નો કરતા જ રહ્યાં. પ્લાસી અને બક્સરના યુધ્ધોમાં બ્રિટિશ પૂંજીવાદીઓની જીત પછી આ નવા લૂંટારાઓ અને તેમના સમર્થક જમીનદારો સામે સંઘર્ષ કરતા રહ્યા. પહેલો વિદ્રોહ ઈતિહાસમાં સંન્યાસી વિદ્રોહના નામથી જાણીતો છે. આ વિદ્રોહ બંગાળ અને બિહારમાં વર્ષ ૧૭૬૩માં શરૂ થયો અને વર્ષ ૧૮૦૦ સુધી સતત ચાલતો રહ્યો. ઈસ્ટ ઈંડિયા કંપનીના ગવર્નર જનરલ વારેન હેસ્ટિંગે આ વિદ્રોહને સંન્યાસી વિદ્રોહ નામ આપ્યું. હકીકતમાં સરકારી દસ્તાવેજોની તપાસ કરતા જાણ થઈ કે આ વિદ્રોહ બ્રિટિશ પૂંજીવાદીઓ અને હિંદુસ્તાની જમીનદારોની વિરુધ્ધ ખેડુતોનો વિદ્રોહ છે. વિદ્રોહી સેના કે આ સેનાના નેતાઓ જ્યાં પણ ગયા, તેમનું ભાવભર્યું સ્વાગત ખેડુતોએ કર્યુ. અને વિદ્રોહી સેનામાં જોડાઈ તેમની શક્તિમાં વધારો કર્યો.

 ભારતના સરકારી ઈતિહાસ અને ગઝેટિયરના રચેતા સર વિલિયમ હંટરે કે જે સ્વયં બ્રિટિશ શાસકોના વર્ગના હતા તેમણે સાફ શબ્દોમાં લખ્યું કે સંન્યાસી વિદ્રોહ ખેડુત વિદ્રોહ હતો. આ વિદ્રોહમાં બીજા અન્ય કોઈ નહી પરંતુ મુઘલ સામ્રાજ્યની સેના ને કારણે બેકારી અને ભૂખથી પીડિત સૈનિકો અને જમીન વિહોણા ગરીબ ખેડુતો હતા. હંટરના મત મુજબ મુઘલ સામ્રાજ્યના પતનના કારણે ઘણા સૈનિકોની આજીવિકા છીનવાઈ ગયેલ; આશરે તેમની સંખ્યા લગભગ ૨૦ લાખ જેટલી હતી. અને જમીનથી બેદખલ થયેલ ખેડુતો, કારીગરોએ આ સંખ્યામાં વધારો કર્યો. આ વિદ્રોહમાં ત્રણ પ્રકારની શક્તિઓનો સમુહ થયો હતો જેમા ૧) બંગાળ અને બિહારના કારીગરો અને ખેડુતો જેને બ્રિટિશ પૂંજીવાદીઓએ તબાહ કર્યા હતા, ૨) મુઘલ સામ્રાજ્યના પતનના કારણે સેના બેકારી અને ભૂખથી પીડીત સૈનિકો જેઓ ખુદ ખેડુત પરિવારના જ હતા. અને ૩) સંન્યાસી અને ફકીરો જે બંગાળ અને બિહારમાં વસ્યા હતા અને ખેતકાર્યોમાં લાગી ગયેલા હતા. ફક્ત અને ફક્ત ખેડુત આ વિદ્રોહની મુખ્ય શક્તિ હતા. 

લેસ્ટર હચિંસન નામના ઈતિહાસકારે લખ્યું કે સન્યાસિઓ અને ફકીરોએ સંગ્રામી ખેડુતો અને કારીગરોને વિદેશીઓના પંજામાંથી દેશને મુક્તિ અને ધર્મરક્ષાનો આદર્શ પ્રસ્થાપિત કર્યો. સંન્યાસીઓ કે જેઓ ધાર્મિક ભિક્ષુક હતા તેમણે ખેડુતો અને કારીગરોની અર્થનિતિક વિદ્રોહને ધાર્મિક પ્રેરણા આપી. ડો. ભૂપેંદ્ર નાથ દત્તે લખ્યું કે ઢાકાના રમના સ્થિત કાલી મંદિરના મહારાષ્ટ્રીયન સ્વામીજી કહેતા હતા કે સંન્યાસી યોધ્ધા ઓડ્મ બંદે માતરમનો રણનાદ કરતા હતા.બંગાળ અને બિહારના વિદ્રોહીનેતાઓ મજનુ શાહ, મૂસા શાહ, અનૂપ નારાયણ, ભવાની પાઠક, દેવી ચોધરાણી, કૃપાનાથ, નૂરલ મુહંમદ, પીતામ્બર, ચિરાગ અલી, શ્રીનિવાસ વગેરે નેતાઓ હતા. આ વિદ્રોહમાં મજનુ શાહની ભુમિકા સૌથી વધુ ઉલ્લેખનીય છે. હજારોની સંખ્યામાં વિદ્રોહીઓ પોતાના નેતાના નેતૃત્વમાં આગળ વધતા હોય છે. બ્રિટિશરોએ આ વિદ્રોહીઓને ડાકુઓ તરીકે જાહેર કર્યા પરંતુ હકીકતમાં તો બ્રિટિશ શાસક પોતેજ ડાકુ હતા કે જેઓ હિંદુસ્તાનની જનતાને લૂટી રહ્યા હતા. 

વિદ્રોહીઓએ પહેલો હુમલો ઢાકાની ઇસ્ટ ઈંડિયા કંપનીની એક કોઠી પર કર્યો. આ કોઠી ઢાકાના કારીગરો, વણકર કારીગરો પર થતા હુમલાઓનું કેંદ્રસ્થાન હતું. આથી જ આ વિદ્રોહીઓએ બ્રિટિશ સોદાગરોની લૂંટના આ કેંદ્રને ખતમ કરવાનો પ્રયત્ન પહેલાં કર્યો. ઓડમ બંદે માતરમ ના નારા સાથે રાતના અંધારાનો લાભ લઈ કોઠીને ઘેરી લેવામાં આવી. અણધાર્યા આક્રમણના કારણે કોઠીના ચોકીદારો તો સૌથી પહેલા ભાગી ગયા, અને અંગ્રેજ સોદાગરો પોતાની ધન સંપતિ છોડી કોઠીના પાછલા દરવાજેથી નાવડીમાં બેસી ભાગી ગયા. વિદ્રોહીઓએ આ કોઠી પર મહીનાઓ સુધી કબ્જો જમાવી રાખ્યો પરંતુ કેપ્ટન ગ્રાંટ નામના અંગ્રેજ સેનાપતિની ખુબ જ મોટી સેના સાથેના ભીષણ યુધ્ધ્માં અંગ્રેજોની જીત થઈ અને કોઠી પર ફરીથી અંગ્રેજોએ કબ્જો જમાવ્યો.

રામપુર બોઆલિયાની અંગ્રેજ કોઠી પર માર્ચ ૧૭૬૩ મહિનામાં બીજો હુમલો વિદ્રોહીઓએ કર્યો. અને આ વખતે તેઓ કોઠીની બધીજ ધન દોલત લઈ ગયા, અને કોઠીના વ્યવસ્થાપક બેનેટને પણ કેદી બનાવી પટના મોકલી આપ્યો. પરંતુ બેનેટ વિદ્રોહીઓના હાથે માર્યો ગયો. ( ક્રમશ: )


VANDE MATARAM

 

Indian Independence | Indian Freedom Struggle | Indian National Movement

No comments:

Post a Comment



Subscribe

Enter your email address:

Delivered by FeedBurner